હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં માળવાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતનાં ઉમંગ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂત શ્રી પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણીનાં ખેતરમાં ગાય આધારિત ખેતીથી પકવેલ ઘઉં, મગ દેશી ગુલાબી લસણ, શિંગતેલ, મગફળી સહિતનાં પાકોનું નિરીક્ષણ કર્યું હતું અને દેશી ગાયના સંરક્ષણ અંગે માહિતીઓ મેળવી હતી.
રાજ્યપાલ એ પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનું ઉત્પાદનએ માનવીના શરીર માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે તેમ જણાવી વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી થકી થતાં પાકોનો ઉપયોગ કરે તેવું સુચન કર્યું હતું.
આ તકે તેમની સાથે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, નાયબ કલેકટર કુસુમબેન પ્રજાપતિ તથા પ્રગતિશીલ ખેડૂતો જોડાયાં હતાં.
