હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત આપવામાં આવે છે.
| લોનની વિગત | રકમ રૂ. | લોન પૂર્ણ કરવાની મુદ્દત |
| પ્રથમ તબક્કો | ૧૦,૦૦૦ | ૧૨ માસ |
| બીજો તબક્કો | ૨૦,૦૦૦ | ૧૮ માસ |
| ત્રીજો તબક્કો | ૫૦,૦૦૦ | ૩૬ માસ |
આ યોજના અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શનમાં શહેરી શેરી ફેરિયાઓ માટે પી. એમ. સ્વનિધિ યોજના સંબધિત લાભથી વંચિત ન રહે તે માટે તાજેતરમાં તા.૧૭/૧૨/૨૦૨૨ થી તા.૨૯/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેમ્પેઈન મોડમાં કામગીરી કરી ૨૬૦૯ જેટલી નવી ઓનલાઈન અરજીઓ કરવામાં આવેલ છે. સાથોસાથ કેમ્પના સ્થળે બેંકો દ્વારા નામંજૂર થયેલ નવી અરજીઓને ફરી એક્ટીવ કરવા માટે ઓનલાઈન ફોર્મ પણ ભરવામાં આવેલ હતા. હાલ બેંકો દ્વારા ૧૦૯૫૨ જેટલી અરજીઓ મંજુર કરવામાં આવેલ છે. જ્યારે ૪૨૦૦ જેટલી અરજીઓ મંજુરીની પ્રક્રિયામાં છે. આ યોજનાના લાભાર્થીઓની મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ કમિશનર સી. કે. નંદાણી દ્વારા સતત લીડ બેંક મેનેજર અને તમામ બેંકોનાં રીઝ્યોનલ ઓફિસર સાથે મીટીંગ તથા સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.

વિશેષમાં PM SVANidhi યોજનાનો લાભ મહતમ ફેરિયાઓને લેવા રાજ્કોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. જેમાં લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ ઉપરાંત આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે.
પી.એમ. સ્વનિધિ યોજનાની સમગ્ર કામગીરી સરળતાથી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના સહાયક કમિશનર એચ.આર. પટેલ તથા પ્રોજેક્ટ ઓફિસ કાશ્મીરા ડી. વાઢેર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે.

