હિન્દ ટીવી ગુજરાતી, ભૂજ
વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ આજરોજ ભુજ ખાતે સ્વ. વી.એલ. બારોટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિર્મિત વિષ્ણુધર્મ સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું. નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ આ શાળાના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી શિક્ષણનીતિમાં સંસ્કૃતિનો પણ સમાવેશ કર્યો છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાને પણ ફરજિયાત સમાવેશ કરાયો છે. વિષ્ણુધર્મ શાળા એના નામમાં સંચાલકોના માતા પિતાના નામ રાખી સંસ્કાર દિપાવ્યા છે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા ધોરણ ૬ થી ધર્મપુસ્તક ગીતાનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરાયો છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો બાળકોને અભ્યાસ કરાવાશે જેથી બાળકો પ્રાચીન સંસ્કૃતિને આત્મસાત કરતા થશે. દીર્ધદષ્ટ્રા અને વિકાસપુરુષ નરેન્દ્રભાઇ મોદીએ ભૂકંપ બાદ કચ્છને ટૂરિઝમ હબ બનાવ્યું છે. વિકાસ માટે અગ્રેસર ભુજ મોટા શહેર સમકક્ષ છે. હમીરસર તળાવને કાંકરિયા તળાવ જેવું બનાવવા કામગીરી ચાલુ છે ઉપરાંત હમીરસર સતત પાણીથી છલકાય તે માટે પણ આપણે નગરજનોની લાગણીને ધ્યાને લઈ કામગીરી કરશું એમ આ તકે અધ્યક્ષાએ જણાવ્યું હતું.

કચ્છમાં કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા અને નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર તેમજ એજ્યુકેશન ટ્રસ્ટનાં હિમાંશુભાઈ બારોટ પણ પ્રસંગોચિત પ્રવચન કર્યાં હતાં.જિલ્લા શિક્ષણ અધિકારી ડો.બી.એનપ્રજાપતિએ પ્રાસંગિકમાં જિલ્લાની શૈક્ષણિક સિધ્ધિ રજૂ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્રારા રજુ કરાયેલ નવી શિક્ષણનીતિ અન્વયે વિદ્યાર્થીઓને કન્સેપ્ટ આધારિત શિક્ષણ આપી બાળકોને માત્ર ભણતર નહીં પણ સમજણ, ગણતર અને સંવેદનશીલ બનાવવા પર ભાર મૂક્યો છે જે સ્વનિર્ભર સ્કૂલો પણ અપનાવશે.
સ્કૂલના આચાર્ય સોનલબેન ચેટજીએ સ્વાગત પ્રવચનમાં શાળાનો હેતુ અને આયોજન રજૂ કર્યાં હતાં.

આ પ્રસંગે સર્વ સાધુ વિવેક મંગલદાસ સ્વામી તેમજ BAPS સ્વામીનારાયણ ભુજ ના સંતો, વી.એલ.બારોટ એજ્યુકેશન ટ્રસ્ટ તથા વિષ્ણુ ધર્મ સ્કુલ પરિવારના સર્વશ્રી સ્થાપક ધર્મિષ્ઠાબેન બારોટ, એમ.ડી હેતલબેન બારોટ, સંજયભાઈ બારોટ, કેમ્પસ ડાયેરકટર હેમંતભાઇ બેરા, નીતિન મહેતા, અનિલ ત્રિવેદી, હરેશ વ્યાસ, હર્ષ મહેતા, મીરા વ્યાસ,શિક્ષકો, વિધાર્થીઓ તેમજ અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
