હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ
પાણી એ પારસમણી છે તેનો કચ્છી જનોએ ખૂબ જ સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કચ્છમાં નર્મદાના નીર આવ્યા બાદ સરહદી ગામો સુધી પીવાનું પાણી પહોંચ્યું છે જ્યારે હવે નર્મદાના વધારાના નીરની ફાળવણી બાદ સિંચાઈનો પ્રશ્ન પણ હલ થઈ જશે. ત્યારે પાણીનો સદુપયોગ થાય તે જોવાની સૌ જિલ્લા વાસીઓની ફરજ છે. તેવું નારણપર (રાવરી) ખાતે ગંગાજીના ઉજવણી કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.
વિધાનસભા અધ્યક્ષએ સાંખ્ય યોગી બહેનો અને સંતોના આશીર્વાદ લઈને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની ખુબ ચિંતા કરે છે, તેમણે કચ્છને પાણીદાર બનાવવા માટે નર્મદાના પાણી આ સુકી ભૂમિ સુધી પહોંચાડ્યા છે .ત્યારે હવે આ પાણીની કિંમત સમજવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે ઉમેર્યું હતું કે, નર્મદાના વધારાના પાણી મળવાથી કચ્છના ડેમ અને જળાશયો પણ તેનાથી ભરવામાં આવશે ત્યારે ખેડૂતોએ આ પાણીનો બગાડ ન થાય તે સમજીને ધોરીયાને બદલે પાકને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પીયત કરાવાય તે સમજવું જરૂરી છે. તેમણે આ પ્રસંગે ગામમાં વિવિધ મંજૂર થયેલા વિકાસ કામોની પણ જાહેરાત કરી હતી તેમજ આગામી સમયમાં થનારા કામો અંગે પણ વિગતો જણાવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષ પારુલ બેન કારાએ જણાવ્યું હતું કે પટેલ ચોવીસીના ગામો પ્રાથમિક સુવિધાઓની બાબતે અન્ય માટે પ્રેરણા રૂપ આદર્શ ગામ છે. અહીં જે પણ રૂપિયો ખર્ચ કરવામાં આવે છે તે ઊગી નીકળે છે. ગુણવત્તા યુક્ત કામોના કારણે લોકો માટે આ વિકાસ કામો વર્ષો સુધી લાભદાયક બની રહે છે ,તેમણે લોકોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા પણ આ પ્રસંગે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ એ ગામના સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લઈને સાંખ્ય યોગી બહેનોના આશીર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત અધ્યક્ષ મંજુલાબેન ભંડેરી, આગેવાન ભીમજીભાઇ જોધાણી, હરિભાઈ આહિર, હિતેશભાઈ ખંડોલ તથા અન્ય ગામના સર્વ અગ્રણીઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
