હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર
ભાવનગર જિલ્લાની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં હવે ગ્રામવિકાસ અભ્યાસક્રમો સાથે સંશોધનો માટે સુંદર તક સાંપડી છે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની મંજૂરી મળી છે, જેમાં નવા સત્રથી જ તેનો પ્રારંભ થશે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા લોક વૈજ્ઞાનિક અભ્યાસુ અરુણભાઈ દવેના નેતૃત્વ સાથે સંસ્થા દ્વારા અહીં ખાનગી વિશ્વવિદ્યાલય માટે થયેલી કાર્યવાહીને સફળતા મળી છે, જેમાં આવતા સત્રથી જ પ્રાકૃતિક વાતાવરણ તેમજ પૂરતી સુવિધા સાથે અભ્યાસક્રમ શરૂ થઈ જશે. આમ પ્રતિષ્ઠિત ‘લોકભારતી’ હવે ‘વિશ્વભારતી’ બની છે. અહીં ભણેલો વિદ્યાર્થી હવે વિશ્વ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનશે.
આ વિભાગની કાર્યવાહી પ્રક્રિયામાં રહેલ સંસ્થાના વિશાલ ભાદાણીએ જણાવ્યાં મુજબ સરકાર દ્વારા ખાનગી વિશ્વવિદ્યાલયની માન્યતા મળતાં વિદ્યાર્થીઓને વિવિધ માન્ય શાખાઓના અભ્યાસ માટે લોકભારતીમાં જ તક ઉપલબ્ધ થઈ છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના હકારાત્મક વલણ સાથે આ ઉપલબ્ધી સુગમ થતાં ‘લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન’ દ્વારા આવતા માસથી એટલે કે નવા સત્રના પ્રારંભથી જ ગ્રામવિકાસમાં નાવીન્ય સંદર્ભે અભ્યાસ ચાલુ થઈ જશે, જેમાં પ્રવેશ પ્રક્રિયા માટે ટૂંક સમયમાં જ જાહેરાત થશે.
સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સાથે જ ગ્રામવિકાસ અભ્યાસક્રમ માટેની વિશ્વવિદ્યાલય શરૂ થતાં અગાઉ જ વિદેશની સંસ્થાઓ સાથે અભ્યાસક્રમની અરસપરસ સમજુતીઓની કાર્યવાહી શરૂ થતાં અન્ય ખાનગી સંસ્થાઓ કરતા ઓછા ખર્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપલબ્ધ થશે.
સંસ્થા દ્વારા આ અભ્યાસક્રમ ઉપલબ્ધી એ વ્યવસાયિક હેતુ ન જ હોવાથી અહીં ગરીબ માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વ્યાજબી ખર્ચથી પોતાની મનગમતી અભ્યાસ પદવીઓ હાંસલ કરશે. આમ, ગ્રામીણ વિશ્વવિદ્યાલયનો ઉમેરો થતાં આ પંથકને આનંદ છવાયો છે.
