Sunday, February 15News That Matters

કમાલપુરના પી એમ યુવા લેખક શ્વેતા પટેલને દિલ્લીના લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું

હિન્દ ટીવી – ગુજરાતી, ઈડર

નવી દિલ્હી ખાતે 15 ઑગસ્ટના પાવન દિવસે યોજાનાર સ્વાતંત્ર દિવસના રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુર ગામના યુવા લેખિકા શ્વેતા પટેલને ભારત સરકાર દ્વારા “વિશિષ્ટ અતિથિ” તરીકે આમંત્રણ મળ્યું છે. દર વર્ષે દિલ્લીના લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય પર્વમાં સમગ્ર દેશમાંથી ચયનિત ગણનાકીય પ્રતિભાઓને ભારત સરકાર વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કરે છે. આ વર્ષે શિક્ષણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત આયોજનમાં દેશના પ્રતિભા શાળી યુવા લેખકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ઈડર તાલુકાના કમાલપુર ગામના પીએમ યુવા લેખક શ્વેતા પટેલને આમંત્રિત કર્યા છે. શ્વેતા પટેલ “પ્રધાનમંત્રી યુવા લેખક મેન્ટરશિપ યોજના-1” ના વિજેતા છે. જે થકી તેઓએ રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ અગાઉ તેમણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કલા-સાહિત્ય શિબિરમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સાહિત્ય સંવાદમાં સહભાગિતા નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં તેમની રચના “ગોઝારો ઢેખાળીયો કૂવો – દઢવાવ” પુસ્તકનું વિમોચન દિલ્હીમાં ફ્રાંસ દેશના યજમાન પદે કરવામાં આવ્યું હતું. શ્વેતા પટેલના દિલ્હી ખાતેની ઉપસ્થિતિના સમાચાર સાથે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી છે. નાની ઉંમરે સાહિત્ય જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી, તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ક્ષમતા અને પ્રતિભા સાબિત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *