Monday, February 16News That Matters

નર્મદ યુનિ. ખાતે ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ને ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ખૂલ્લો મૂકાયો

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશનને કુલપતિ કે.એન.ચાવડાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું.

પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શાળાકોલેજોના વિદ્યાર્થીઓએ સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિવિધ જાણકારી મેળવી હતી. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરાઈ છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલમાં પ્રદર્શિત કરાયેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ ૧૯૮૩માં મળી આવેલા મળેલા ડાયનાસોરના ઈંડા અને પગના અતિ પ્રાચીન અવશેષો મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ડાયનાસોરના ઈંડા સાડા છ કરોડ વર્ષ જૂના છે. રૈયોલીનો સ્થાનિક વિસ્તાર ડાયનાસોર ફોસિલ પાર્ક તરીકે ઓળખાય છે. રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો, થીજીને પથ્થર બની ગયેલા ઇંડા, પગના ટુકડા અહીં પ્રદર્શિત કરાયા છે. એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦ જેટલી સંસ્થાઓ તેમની સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહી છે. જેમાં DRDO, પાવરગ્રીડ, ઈસરો, GSI, CSIR, NCERT, ICAR, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, C.W..C., APEDA, ICMR, MOES, REC , BIS , CPCB, NIF જેવી સરકારી જાહેર એજન્સી-સંસ્થાઓ ભાગ લીધો છે. વિજ્ઞાન સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ જિજ્ઞાસુઓને ઉપયોગી જાણકારી આપી હતી. તમામ વય જૂથના નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક છે.તા.૨૧મી સુધી ત્રણ દિવસ માટે સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ વાગ્યા દરમિયાન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, આમ નાગરિકો સુરતમાં આ પ્રકારના પ્રથમવાર યોજાઈ રહેલા પ્રદર્શનને નિહાળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *