રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ
હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
ગુજરાત રાજ્યને ૧૬૦૦ કિ.મી લાંબા દરિયાકિનારાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. જેના પર ઘણાં ઉદ્યોગ નભે છે. રાજ્યમાં સરકારશ્રીના મત્સ્યોદ્યોગ દ્વારા મીઠાપાણીનો મત્સ્યોદ્યોગ, દરિયાઈ મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ તમામ માછીમારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકેલ છે. નાના માછીમારો (ઓબીએમ બોટધારક)ને અપાતી કેરોસીન પર સહાય પણ આવી જ એક કલ્યાણકારી યોજના છે. જેના કારણે જિલ્લાના નાના માછીમારો સુધી સરકારની યોજનાનો સીધો લાભ પહોંચી રહ્યો છે અને આવી યોજનાઓના સચોટ અમલીકરણના ફળરૂપે દરિયાકાંઠાનો નાનો માછીમાર પણ આર્થીક રીતે સમૃદ્ધ બન્યો છે.
વેરાવળ બંદર પણ માછીમારીનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં મત્સ્યોદ્યોગનો અપાર વિકાસ થયો છે. જિલ્લામાં મત્સ્યોદ્યોગ વિભાગની અનેક યોજનાઓમાંની એક ઓબીએમ બોટધારક માછીમારોને કેરોસીન પર સહાય યોજના અંતર્ગત માછીમારોને ફિશિંગ હેતુ માટેના નિયત કરાયેલ કેરોસીનના જથ્થાની ખરીદી પર આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં પ્રતિબોટ કેરોસીન કાર્ડ દીઠ પ્રતિમાસ મહત્તમ ૧૫૦ લીટરની મર્યાદામાં કેરોસીનની ખરીદી પર સહાય આપવામાં આવે છે.

હોડીઓમાં વપરાતા કેરોસીન ખરીદી પરની માછીમારોને સીધો લાભ આપવાની યોજના હેઠળ નાની માછીમારી (આઉટબોર્ડ મશીન, OBM) કરતા ગીર સોમનાથ જિલ્લાના માછીમારોને ત્રણ મહિનામાં કુલ ૪૧,૯૪,૫૦૦ની સહાય આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ ત્રણ મહિનામાં કુલ ૫૬૬ નાના માછીમારોના ખાતામાં સરકાર દ્વારા કુલ ૪૧,૯૪,૫૦૦ની સહાય પહોંચી છે. આવી રીતે સાગરકાંઠાનો નાનો માછીમાર પણ સરકારશ્રીની યોજનાનો સીધો લાભ મેળવી રહ્યો છે.
નોંધનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન થયેલી બોટ, માછીમારીનો પરવાનો ધરાવતા હોય અને રિયલક્રાફ્ટ સોફ્ટવેર પર રજીસ્ટ્રેશન થયેલી તેમજ માછીમારીનું લાયસન્સ ધરાવતી બોટના બોટમાલિક માછીમારો જે સરકારનાં પ્રવર્તમાન ઠરાવોની જોગવાઈઓ અનુસાર પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
