Wednesday, February 18News That Matters

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે CSR અંગે બેઠક યોજાઈ

હિન્દ ટીવી – ગુજરાતી, સુરત

                સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તેમજ સીએસઆર ફંડનો જાહેર આરોગ્ય માટે યોગ્ય ઉપયોગ તે માટે ગુજરાત સીએસઆર ઓથોરિટીના ઉપક્રમે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવાસદન ખાતે આયોજિત બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, ઉદ્યોગગૃહો જાહેર આરોગ્ય સેવાને બહેતર બનાવવા સમાજસેવામાં ઉત્તરોત્તર સહયોગ આપે તે આવશ્યક છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩થી કંપનીઓ માટે CSR-કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફરજિયાત કરવામાં આવી છે. જેમાં કંપનીઓ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં પોતાની આવકનો, પોતાના નફાનો એક નાનકડો હિસ્સો સમાજસેવા દ્વારા પરત આપે છે. CSR હેઠળ સુરત શહેર-જિલ્લામાં પાયાની અને માળખાગત સુવિધાઓ, આરોગ્ય સગવડો ઊભી કરી કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે જે આવકાર્ય છે, ત્યારે ખાસ કરીને કંપનીઓ CSR અંતર્ગત સિવિલ હોસ્પિટલ, તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલો, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય વિષયક સંસાધનો પૂરા પાડીને સમાજસેવા થકી સ્વસ્થ અને સક્ષમ સમાજના નિર્માણમાં ઉત્તરોત્તર સહભાગી બને એમ જણાવી સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે CSR અંતર્ગત મળતી કરરાહતો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જરૂરી આરોગ્યલક્ષી અન્ય સુવિધાઓ અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા અને હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઈમ્પ્રુવમેન્ટ મિશન(HPCIM)ના નોડલ ઓફિસર ડો.કમલેશ ઉપાધ્યાય, એલ. એન્ડ ટી. કંપની(સુરત)ના વાઈસ ચેરમેન અતિક દેસાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, નવી સિવિલ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, મેડિસીન વિભાગના વડા ડો.કે.એન.ભટ્ટ, PSM વિભાગના વડા ડો.જયેશ કોસંબીયા, અધિક પ્રાધ્યાપક ડો.અશ્વિન વસાવા, સહિત ONGC, L&T, એસ્સાર, શેલ, રિલાયન્સ, કૃભકો વગેરે કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *