Sunday, February 15News That Matters

શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ માતાજીના દર્શન કર્યા

હિન્દ ટીવી – ગુજરાતી, અંબાજી

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. મંત્રીએ સાંજની આરતીમાં ભાગ લઇ માતાજીની પૂજા કર્યા બાદ માતાજીની ગાદીના દર્શન કરી ભટ્ટજી મહારાજના આશિર્વાદ લીધા હતા.

માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, આજે મા અંબા મા દર્શન કરવા આવ્યો છું. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ વિદેશમાં આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોનું નિર્માણ અંબાજી ખાતે કરાવ્યું હતું. આગામી તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાના હોઇ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંબાજીના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન વિભાગ અને ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનેકવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે અને વિકાસના અન્ય બીજા કામો પાઇપલાઇનમાં હોવાનું મંત્રીએ મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી ડાહ્યાભાઈ પિલીયાતર, નાયબ વન સંરક્ષક પરેશ ચાૈધરી, RFO સર્વ પી.એમ.ભુતડીયા, સી.એમ.બારડ અને એન. વી. પ્રજાપતિ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *