Sunday, February 15News That Matters

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં પુસ્તકપ્રદર્શન યોજાયું

હિન્દ ટીવી – ગુજરાતી, થરાદ 

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં તા. ૧૯/૧/૨૦૨૩ ગુરૂવારના રોજ સદર કૉલેજના પુસ્તકાલય વિભાગ દ્વારા પુસ્તકપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો જેવા કે, ગુજરાતી ભાષા અને સાહિત્ય, લોકસાહિત્ય, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ઇતિહાસ, વાણિજ્ય, ભારતનું બંધારણ, સામાન્ય જ્ઞાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા અનેક પુસ્તકો તથા સામયિકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડો.આંબેડકર, વીર સાવરકરના પુસ્તકો માટે એક અલગથી ‘યુગપુરુષકોર્નર’ બનાવવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલના સ્ટેચ્યુ સામે તેમના પુસ્તકોને પ્રદર્શિત કરવામાં આવ્યા.

તો વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પ્રકાશિત ગુજરાતી વિશ્વકોશના ૨૫ ભાગો અને ભગવદ્ગોમંડળના નવ ભાગો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. કોલેજના આચાર્ય પ્રોફેસર ભાવિક ચાવડાના હસ્તે પ્રસ્તુત પુસ્તકપ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્રેની કૉલેજના બીએ/બીકોમ સેમેસ્ટર ૨, ૪, ૬ ના વિદ્યાર્થીઓએ શિસ્તપૂર્વક, પ્રદર્શિત કરવામાં આવેલ પુસ્તકોને રસપૂર્વક નિહાળ્યા હતા. સાથે અધ્યાપકો, વહીવટી સ્ટાફ તથા સેવકભાઈઓ પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રતિલાલ કા. રોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલીપભાઈ ગોહિલનો વિશેષ સહકાર મળ્યો હતો. અત્રે નોંધનીય છે કે સદર કોલેજનું પુસ્તકાલય ૭૦૦૦થી વધુ પુસ્તકોથી સમૃદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *