હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
અમારા મનમાં વતનને મળવાનો હરખ છે અને અહીં બધા લોકો અમારા છે એવી ભાવના મનમાં લઈ મદુરાઈથી ટ્રેનમાં વેરાવળ આવી પહોંચેલા તમિલ બાંધવોને ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકિષ્ણન, કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય માહિતીપ્રસારણ, મતસ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી એલ.મુરૂગન તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓએ હરખભેર આવકાર્યા હતાં.
કુમકુમ તિલક કરી ૩૦૦થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન મહેમાનોનું લાલ જાજમ પર ઉમળકાભેર ગુલાબ આપી મંત્રીઓ સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી વાતાવરણ ઉર્જાસભર બન્યું હતું. ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આ તકે સૌરાષ્ટ્રીયન તમિલોએ વતન સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખુબ આભાર માન્યો હતો.

વતનની મુલાકાતે આવેલા બંધુઓ હરખભેર આવકાર પામી ભાવવિભોર થયા હતાં. દસ દિવસીય કાર્યક્રમના ભાગરૂપે છેલ્લા દિવસે તમિલ મહેમાનોને આવકારવા માટે પૂર્વ મંત્રી જસાભાઈ બારડ, બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવા સહિતના અગ્રણીઓ વિવિધ કોલેજો અને શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સૌરાષ્ટ્રના દરેક સમુદાયના લોકો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા
