Saturday, February 14News That Matters

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી.જી. હોસ્પીટલની મુલાકાત લીધી

હિન્દ ટીવી -ગુજરાતી, જામનગર

   ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તેઓએ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ, ૨૦૦ બેડ હોસ્પિટલ, શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ, ૭૦૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે મંત્રીએ સંવાદ કર્યો હતો. 

આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય અને ભારત સરકારના હેલ્થ પ્રોગ્રામ, આગામી સમયમાં પ્રગતિમાં આવનાર વિકાસ કામો અને પાયાની તમામ બાબતોની સમીક્ષા કરી છે. 

નાગરિકોની કોઈ ફરિયાદ હોય તો દૂર થાય, હોસ્પિટલમાં કોઈ સુવિધાનો અભાવ કે ખૂટતી કડી હોય તો તેને પૂરવા માટે સમગ્ર હેલ્થ ટીમ સાથે અહીં આવ્યા છીએ. સૌરાષ્ટ્રની મોટા ભાગની હોસ્પિટલની રૂબરુ મુલાકાત લેવામાં આવી છે અને તે ઉપક્રમમાં હવે માત્ર મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની સરકારી હોપિટલની મુલાકાત લેવાની બાકી છે.

અમદાવાદની વી.એસ. હોસ્પિટલના કથિત ક્લિનિકલ ટ્રાયલ ગેરરીતિ અંગે મંત્રીએ જણાવ્યું કે, આ ગેરરીતિના મીડિયા અહેવાલ બાદ ઉપયુક્ત ઘટનાની પ્રાથમિક તપાસના અહેવાલ પછી વી.ઍસ.હોસ્પિટલના તબીબ ડૉ.રાણાને ટર્મિનેટ કરાયા છે અને અન્ય આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા છે.તેમજ વધુ તપાસ બાદ દોષિતો સામે આગળના કાયદેસરના પગલા લેવામાં આવશે.

વધુમાં મેડિકલ કોલેજમાં રેગિંગને અટકાવવા સંદર્ભે મંત્રીએ કહ્યું કે, દરેક સરકારી મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી કાર્યરત છે, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં કોઈ ઘટના રેગિંગની બને છે તો આવું કૃત્ય કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે.

જી જી હોસ્પિટલમાં વ્યવસ્થાઓ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, હાલ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં OPD ચાલી રહી છે જેથી જૂની જગ્યા એ ઝડપથી નવી ઇમારત બનાવી શકાય. કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પૂરતી કાળજી લેવાઈ રહી છે. હાલ ૧૭૦૦ બેડની સુવિધા છે તે વધીને ૨૨૦૦ બેડની થશે. આગામી સમયમાં કેન્સર હોસ્પિટલ ઊભી કરવાની અને યુરોલોજી વિભાગ જે અહીં ખૂબ સારી રીતે ચાલે છે તેને પણ વિકસિત કરવાનું આયોજન છે.

આ મુલાકાત દરમિયાન તેઓની સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી બીનાબેન કોઠારી, અર્બન હેલ્થ કમિશ્નર હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશ્નર રતન ગઢવી, મેડીકલ એજ્યુકેશનના અધિક નિયામક રાઘવન દીક્ષિત, મેડીકલ સર્વિસીસના અધિક નિયામક ડો.તૃપ્તિબેન, પ્રાદેશિક ડેપ્યુટી ડાયરેક્ટર ડો.ચેતન મહેતા, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ, જીજી હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો.દીપક તિવારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *