Monday, February 16News That Matters

અખાત્રીજના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા

હિન્દ ટીવી – ગુજરાતી, અમદાવાદ 

અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે આગામી જૂન માસમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની 146મી રથાયાત્રાની ઉજવણીની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી હતી. આ રથ પૂજન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નવા રથોમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાના છે. નગરજનોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિ અકબંધ રહે એ રીતે અદ્ભુત કલાકૃતિ સમાન નવા રથોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

આજે વિધિવત રીતે રથોની પૂજા કર્યા બાદ રથયાત્રાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવશે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આ રથયાત્રામાં ટેકનોલોજીના ઉપયોગ થકી સુરક્ષા અને સલામતી વધુ સઘન બનાવવામાં આવશે તથા આવનારા દિવસોમાં સૌ નગરજનો સાથે મળીને જગતના નાથ એવા જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં સામેલ થઈશું અને આશીર્વાદ મેળવીશું, એવો આશાભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. આ રથપૂજન કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, અમદાવાદના ધારાસભ્યઓ, મ્યુ. કાઉન્સિલરઓ, મંદિરના ટ્રસ્ટીગણ ઉપરાંત ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *